રાજકોટમાં કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા ફરસાણની દુકાન અને ડેરીમાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સીતારામ ડેરી અને ભગવતી ફરસાણમાં દરોડો પાડતા ફરસાણ ખાનારા અને ફરાળી આરોગનારા પણ સાંભળીને ચોંકી ઉઠે એવી સ્થિતિ જાેવા મળી હતી. શ્રાવણમાં જે લોકો ફરાળી પેટીસને આરોગે છે, એ પેટીસમાં કોર્ન સ્ટાર્ચ વડે બનાવેલ જથ્થો મળી આવ્યો હતો. આમ લોકોની શ્રદ્ધા અને ભાવનાઓને ઠેસ પહોંચાડી ઉપવાસમાં ફરાળી પેટીસને બદલે મકાઈ કોર્ન આધારીત બનાવીને વેચાણ કરતા હતા. આરોગ્ય વિભાગે હવે આવા જથ્થાનો નાશ કરીને ફરસાણની દુકાનના સંચાલક વિરુદ્ધ કાર્યવાહી કરી છે.
ફરસાણમાં વોશિંગ પાવડરનો ઉપયોગ કરવામાં આવતો હોવાનુ પણ મળી આવ્યુ હતુ. ખાવાના સોડાને બદલે વોશિંગ પાવડરનો ઉપયોગ કરવાથી કેન્સર અને આંતરડામાં ચાંદા પડવાની જેવી ગંભીર બિમારીઓ થઈ શકે છે. મોટા પ્રમાણમાં અખાદ્ય જથ્થો મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો છે. શહેરમાં પાંચ થી છ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યો હતો. શ્રાવણ માસને લઈ આખો મહિનો આ પ્રકારની ડ્રાઈવ કરવામાં આવશે.
