આજે દિલ્હી હાઈકોર્ટે બાટલા હાઉસ એન્કાઉન્ટર કેસમાં પોતાનો ચુકાદો સંભળાવતા આરિઝ ખાનને આપવામાં આવેલી ફાંસીની સજા ને આજીવન કેદમાં ફેરવી દીધી હતી. અગાઉ દિલ્હી પોલીસ ઈન્સ્પેકટર મોહન ચંદ શર્માની હત્યા માટે ટ્રાયલ કોર્ટે આરિઝ ખાનને ફાંસીની સજા સંભળાવી હતી.
દિલ્હીમાં ૧૩મી સપ્ટેમ્બર ૨૦૦૮ના રોજ શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ થયા હતા જેમાં ૨૬ લોકોના મોત થયા હતા જ્યારે ૧૩૩ લોકો ઘાયલ થયા હતા. દિલ્હી પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું કે બોમ્બ વિસ્ફોટ આતંકવાદી સંગઠન ઈન્ડિયન મુજાહિદ્દીન દ્વારા કરવામાં આવ્યો હતો. આ કેસની તપાસ કરી રહેલી દિલ્હી પોલીસને ૧૯મી સપ્ટેમ્બરે જામિયા નગરના બાટલા હાઉસમાં ઈન્ડિયન મુજાહિદ્દીનના આતંકવાદી હોવાની માહિતી મળી હતી અને દિલ્હી પોલીસ ઈન્સ્પેક્ટર મોહન ચંદ શર્માની આગેવાની હેઠળની ટીમ ઠેકાણા પર પહોંચી ત્યારે આતંકવાદીઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં મોહન ચંદ શર્માને ગોળી વાગતા શહીદ થયા હતા. આ અથડામણ બાદ ઉર્ફે જુનૈદ અને શહજાદ અહેમદ ઉર્ફે પપ્પુ નાસી છૂટ્યા હતા અને બાદમાં પોલીસે તેમની ધરપકડ કરી હતી.