“પેપર લીક ભાજપની ઓળખ બની ગઈ છે”: NEET પરીક્ષા રદ થતા 22 લાખ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમાં હોવાનો કોંગ્રેસનો દાવો
NEET-UG 2026ની પરીક્ષા રદ કરવાના નિર્ણય બાદ દેશભરમાં રોષનો માહોલ છે. આ મુદ્દે મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસે કેન્દ્રની મોદી સરકાર સામે મોરચો ખોલ્યો છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે NEETનું પેપર લીક થવું એ માત્ર એક ટેકનિકલ ખામી નથી, પરંતુ કરોડો યુવાનોના સપનાઓ સાથે કરવામાં આવેલી ક્રૂર મજાક છે. આ રદ થયેલી પરીક્ષાને કારણે લગભગ 22 લાખ વિદ્યાર્થીઓની મહેનત, સમય અને તેમના પરિવારોની આજીવન મૂડી વેડફાઈ ગઈ છે.
NEET का पेपर लीक हो गया – परीक्षा रद्द हो गई।
इस परीक्षा के रद्द होने से करीब 22 लाख छात्रों की कड़ी मेहनत, उनके परिवार का पैसा… सब पानी में चला गया।
ये पहली बार नहीं है- मोदी सरकार में 10 साल के अंदर 89 से ज्यादा पेपर लीक हो चुके हैं।
पेपर लीक और परीक्षा में धांधली BJP…
— Congress (@INCIndia) May 12, 2026
10 વર્ષમાં 89થી વધુ પેપર લીક: કોંગ્રેસના ગંભીર આક્ષેપો
કોંગ્રેસે આંકડાઓ સાથે સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે આ કોઈ પહેલી ઘટના નથી. પાર્ટીના મતે મોદી સરકારના છેલ્લા 10 વર્ષના શાસનકાળમાં 89થી વધુ મહત્વની પરીક્ષાઓના પેપર લીક થયા છે. કોંગ્રેસે ગંભીર આરોપ લગાવ્યો છે કે, “પેપર લીક અને પરીક્ષાઓમાં થતી ગેરરીતિ હવે ભાજપ સરકારની નવી ઓળખ બની ગઈ છે. સરકારના રક્ષણ હેઠળ પેપર લીક માફિયાઓ ફૂલીફાલી રહ્યા છે અને તેઓ નિર્દોષ વિદ્યાર્થીઓના ભવિષ્યને બરબાદ કરી રહ્યા છે.”
“વિદેશમાં ભણતા ભાજપના નેતાઓના બાળકોને વિદ્યાર્થીઓનું દર્દ નહીં સમજાય”
કોંગ્રેસે આકરા શબ્દોમાં ટીકા કરતા કહ્યું કે, પેપર લીકની ઘટનાઓથી દર વર્ષે લાખો તેજસ્વી વિદ્યાર્થીઓના સપના ચકનાચૂર થઈ જાય છે. પાર્ટીએ આરોપ લગાવ્યો કે ભાજપના નેતાઓને દેશના મધ્યમ અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓની પીડા દેખાતી નથી, કારણ કે તેમના પોતાના સંતાનો વિદેશોમાં ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યા છે.
કોંગ્રેસના સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, “સત્ય એ છે કે નરેન્દ્ર મોદી અને તેમની સરકારે દેશની પરીક્ષા પ્રણાલીને સંપૂર્ણપણે નબળી પાડી દીધી છે. જ્યાં યુવાનોના સપનાઓનું ગળું ઘોંટવામાં આવી રહ્યું છે અને દેશનો પાયો (યુવાધન) નબળો પાડવામાં આવી રહ્યો છે.”
NEET-UG જેવી રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાત્મક પરીક્ષામાં વારંવાર થતી આવી ગરબડોએ હવે શિક્ષણ વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા કર્યા છે. વિદ્યાર્થી સંગઠનો અને વિરોધ પક્ષો હવે આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ અને કડક કાયદાની માંગ કરી રહ્યા છે, જેથી ભવિષ્યમાં કોઈ માફિયા વિદ્યાર્થીઓના કરિયર સાથે રમત ન રમી શકે.
