ચંદ્રયાન-૩ મિશનના મહત્વપૂર્ણ ભાગ પ્રજ્ઞાન રોવરે ચંદ્રની સપાટી પર મજબૂતાઈથી ઊભેલા વિક્રમ લેન્ડરની તસવીર લીધી છે. આ તસવીરને ઈસરોએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરી છે. આ તસવીરને રોવરે પોતાના નેવિગેશન કેમેરા દ્વારા કેદ કરી છે. ચંદ્રની સપાટી પર ટચડાઉન કર્યા બાદ વિક્રમ લેન્ડરથી અલગ થયેલ પ્રજ્ઞાન રોવર છેલ્લા સાત દિવસથી પોતાનું કામ કરી રહ્યું છે. રોવર ચંદ્રની સપાટી પર હાજર તત્વોની શોધ કરી રહ્યું છે. આ દરમિયાન રોવરે સલ્ફર અને ઓક્સિજન ઉપરાંત ઘણા તત્વો શોધી કાઢ્યા છે. આ તત્વોના મિશ્રણથી એ પણ પુષ્ટિ થઈ છે કે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પાણીનો બરફ હાજર છે. આનાથી ચંદ્ર પર માનવ વસાહતોની સંભાવના પણ વધી ગઈ છે. પ્રજ્ઞાન રોવર જે તેના મિશનમાં સતત આગળ વધી રહ્યું છે તેણે આજે ૩૦ ઓગસ્ટ ૨૦૨૩ની સવારે વિક્રમ લેન્ડરની તસવીર ક્લિક કરી છે. ઈસરોએ આ તસવીર પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી છે. ચંદ્ર મિશનની સફળતા માટે ઈસરોએ રોવરમાં મહત્વપૂર્ણ નવકેમ્સ કેમેરાનો ફિક્સ કર્યો છે.
આ અત્યાધુનિક કેમેરા બેંગલુરુમાં ઈલેક્ટ્રો-ઓપ્ટિક્સ સિસ્ટમ પ્રયોગશાળા (લિયોસ) દ્વારા વિકસિત કરવામાં આવ્યા છે. આ કેમેરા રોવરની આંખોની જેમ કામ કરે છે અને પડકારરૂપ ચંદ્ર વિસ્તારને પાર કરતી વખતે તેમનું માર્ગદર્શન કરે છે. તે ચંદ્ર પર રોવરના સુરક્ષિત નેવિગેશનને સુનિશ્ચિત કરીને પથ યોજના અને અવરોધ ટાળવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઈસરો દ્વારા લોન્ચ કરવામાં આવેલ ચંદ્રયાન-૩ મિશન ૨૩ ઓગષ્ટ ૨૦૨૩ના રોજ ચંદ્રની સપાટી પર સફળ લેન્ડિંગ કર્યા બાદ મહત્વપૂર્ણ પ્રગતિ કરી રહ્યું છે. આ મિશને ભારતને ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરનાર ચોથો દેશ બનાવી દીધો છે.પ્રજ્ઞાન રોવર દ્વારા ક્લિક કરવામાં આવેલી વિક્રમ લેન્ડરની તસવીર મિશનમાં એક મહત્વપૂર્ણ મીલનો પત્થર છે. આ માત્ર રોવર અને લેન્ડર વચ્ચેના સફળ સહયોગને જ નથી દર્શાવતું પરંતુ લિયોસ-વિકસિત નવકેમ્સની તકનીકી ક્ષમતાને પણ દર્શાવે છે.
