કેન્દ્ર સરકારે દેશમાંથી ડુંગળીની નિકાસ પર નિયંત્રણો લાદી દીધા છે. સ્થાનિક બજારમાં ડુંગળીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અને તેની કિંમતોને નિયંત્રણમાં રાખવા માટે સરકારે આ પગલું ભર્યું છે. આ અંતર્ગત ડુંગળીની નિકાસ પર ૪૦ ટકાની ભારે ડ્યુટી લાદવામાં આવી છે, જે આ વર્ષના અંત સુધી લાગુ રહેશે. કેન્દ્ર સરકારે શનિવારે સાંજે ડુંગળીની નિકાસ પર લાદવામાં આવેલી ડ્યૂટી અંગે નોટિફિકેશન બહાર પાડ્યું હતું. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે સરકારે ૩૧ ડિસેમ્બર ૨૦૨૩ સુધી ડુંગળીની નિકાસ પર ૪૦ ટકા ડ્યૂટી લગાવવાનો ર્નિણય કર્યો છે.
સરકારે ડુંગળીની નિકાસ પર આ પ્રતિબંધ એવા સમયે લગાવ્યો છે જ્યારે ટામેટાં પછી ડુંગળીના ભાવ આસમાને પહોંચવાની આશંકા હતી. એવું કહેવામાં આવી રહ્યું હતું કે સપ્ટેમ્બરથી ડુંગળીના ભાવ વધવા લાગશે અને સામાન્ય લોકોને મોંઘવારીનો નવો આંચકો આપશે. આ આશંકાને જાેતા પહેલાથી જ અંદાજ લગાવવામાં આવ્યો હતો કે સરકાર ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવવા માટે પગલાં લઈ શકે છે. ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ સ્થાનિક બજારમાં તેની ઉપલબ્ધતા જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવામાં મદદ કરશે. સ્થાનિક બજારમાં પર્યાપ્ત ઉપલબ્ધતા સાથે, ડુંગળીના ભાવ નિયંત્રણ બહાર જવાનું જાેખમ ઓછું રહેશે. તો બીજી તરફ, ઘરેલુ પુરવઠો સુનિશ્ચિત કરવા માટે, સરકાર ડુંગળીને બફર સ્ટોકમાંથી પણ મુક્ત કરવા જઈ રહી છે.
ટામેટાં, શાકભાજી અને મસાલાના ભાવમાં લાગેલી આગને કારણે મે મહિના બાદ ફરી મોંઘવારી વધવા લાગી છે. જુલાઈમાં છૂટક ફુગાવાનો દર ઘણા મહિનાઓ પછી ૭ ટકાને પાર કરી ગયો હતો. તાજેતરમાં, રિઝર્વ બેંકે તેના બુલેટિનમાં આશંકા વ્યક્ત કરી છે કે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં છૂટક ફુગાવો ૬ ટકાથી વધુ રહી શકે છે, જે તેની ટોચની મર્યાદા છે. ફુગાવાના આ બદલાયેલા વલણ માટે ટામેટાને ખાસ કરીને જવાબદાર ગણવામાં આવે છે, જેની છૂટક કિંમત દેશના મોટાભાગના શહેરોમાં રૂ. ૨૦૦-૨૫૦ પ્રતિ કિલોએ પહોંચી ગઈ હતી. તાજેતરના સપ્તાહમાં ટામેટાના ભાવમાં થોડો ઘટાડો થયો છે.