બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)નું ભવ્યાતિભવ્ય મંદિર અબુધાબીમાં આકાર લઈ રહ્યું છે. સૌ હરિભક્તોને આનંદ થાય એવા સમાચાર આવ્યા છે. અગાઉ ચર્ચાતું હતું કે, ૨૦૨૪માં સ્વામિનારાયણ મંદિર ખુલ્લું મુકાશે અને હવે તેની તારીખની જાહેરાત થઈ ગઈ છે. ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૪થી ભક્તો સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરી શકશે. BAPS તરફથી આપવામાં આવેલી માહિતી પ્રમાણે, મંદિરનું ઉદ્ઘાટન વૈદિક રિવાજાે પ્રમાણે થશે. મુસ્લિમ દેશમાં સૌથી મોટું હિંદુ મંદિર સ્થાપિત થતાં આ દિવસને એકતાના ઉત્સવ તરીકે ઉજવવામાં આવશે. અહીં હિંદુ સંસ્કૃતિ, પરંપરા અને કળાનું પ્રદર્શન થશે.
BAPSના વડા મહંત સ્વામી મહારાજની આગેવાનીમાં તમામ વિધિ પૂર્ણ થશે. અબુધાબીના અબુ મુરેકામાં ૨૦૧૮ની સાલમાં ૨૭ એકર પ્લોટમાં મંદિરનો શિલાન્યાસ થયો હતો. ત્યારથી જ આ મંદિરે મુસ્લિમો અને ત્યાં વસતા સ્થાનિક ભારતીયો ઉપરાંત વિશ્વભરમાં રહેતા ભારતના લોકોમાં ઉત્કંઠા અને ઉત્સાહ જગાડ્યો છે. ભારતીય કળા, સંસ્કૃતિ અને મૂલ્યોનું પ્રદર્શન કરતાં આ ઉત્સવમાં સ્થાનિક ભારતીય સમુદાય ૧૫ ફેબ્રુઆરીથી રજિસ્ટ્રેશન કરાવીને ભાગ લઈ શકશે.
ગુલાબી પથ્થરનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવેલું આ મંદિર જાહેર જનતા માટે ઉદ્ઘાટનના ચાર દિવસ બાદ એટલે કે ૧૮ ફેબ્રુઆરીથી ખુલ્લુ મૂકવામાં આવશે. બીએપીએસના જણાવ્યા અનુસાર, મંદિરનું માળખું ભારતીય પરંપરા અને આધુનિક બાંધકામ પદ્ધતિના સમન્વયથી તૈયાર કરવામાં આવ્યું છે. જેથી આગામી ૧૦૦૦ વર્ષ સુધી આ મંદિર અડીખમ ઊભું રહેશે. જણાવી દઈએ કે, યુએઈના પ્રેસિડેન્ટ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહ્યાને ૨૦૧૫માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુએઈ મુલાકાત દરમિયાન બીએપીએસને મંદિરના નિર્માણ માટે જમીન ભેટમાં આપી હતી. ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ મંદિરનો શિલાન્યાસ થયો હતો અને પીએમ મોદીએ દુબઈના ઓપેરા હાઉસ ખાતેથી શિલાન્યાસ વિધિને લાઈવ નિહાળી હતી.
મંદિરના નિર્માણ માટે રાજસ્થાનથી કેટલાય ટન ગુલાબી પથ્થરો અબુધાબી મોકલવામાં આવ્યા હતા. ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ ૫૦ ડિગ્રી સેલ્સિઅસ સુધીનો તાપ સહન કરી શકે તેવી ક્ષમતા આ ગુલાબી પથ્થરોમાં રહેલી છે. મંદિરની સાઈઝની વાત કરીએ તો દિલ્હીમાં આવેલા અક્ષરધામ મંદિર કરતાં નાનું હશે પરંતુ ન્યૂ જર્સી સ્થિત અક્ષરધામ મંદિર જેટલું મોટું હશે. આ મંદિરનું બાંધકામ પૂર્ણ થતાં જ મિડલ ઈસ્ટમાં આકાર પામેલું સૌપ્રથમ હિંદુ મંદિર ગણાશે. અબુધાબી ઉપરાંત મિડલ ઈસ્ટના દેશ બેહરીનમાં પણ સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિર આકાર લઈ રહ્યું છે. બેહરીનના ક્રાઉનસ પ્રિન્સ અને વડાપ્રધાન બિન હમદ અલ ખલીફાએ મંદિર બનાવવા માટે ફેબ્રુઆરી ૨૦૨૨માં જ જમીન ફાળવી હતી. સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોUK, USA, આફ્રિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, કેનેડા વગેરે જેવા દેશોમાં છે અને હવે પહેલીવાર મુસ્લિમ દેશમાં પણ સ્વામિનારાયણ મંદિર સ્થપાશે.