ભારતનું મહત્વાકાંક્ષી મૂન મિશન ચંદ્રયાન-૩ આજે પોતાના એક મહત્વના તબક્કામાં પહોંચી ગયું છે. અંતરિક્ષ યાનથી લેન્ડર વિક્રમ સફળતાપૂર્વક અલગ થઈ ગયું છે. ઈસરોના જણાવ્યા પ્રમાણે હવે ૨૩ ઓગ્સટે સાંજે ૫.૪૫ પર લેન્ડરનું ચંદ્રની સપાટી પર લેન્ડિંગ કરાવવાનો પ્રયાસ કરવામાં આવશે. આ પહેલા ચંદ્રયાન-૩એ પાંચમી અને અંતિમ કક્ષામાં સફળતાપૂર્વક પ્રવેશ કર્યો હતો. લેન્ડિંગ બાદ લેન્ડરમાંથી છ પૈડાનું રોવર બહાર નીકળશે જે એક ચંદ્ર દિવસ એટલે કે ધરતીના ૧૪ દિવસ ત્યાં પ્રયોગ કરશે.
આ સાથે એક રસપ્રદ વાત એ છે કે વિશ્વની નજર તે વાત પર ટકેલી છે કે ભારતનું ચંદ્રયાન-૩ અને રશિયાનું લૂના-૨૫માંથી કોનું મિશન ચંદ્ર પર પ્રથમ લેન્ડિંગ કરશે. પ્રોપલ્શનથી અલગ થયા બાદ લેન્ડરની પ્રારંભિક તપાસ કરવામાં આવશે. ઈસરોનું કહેવું છે કે લેન્ડરમાં ચાર મુખ્ય થ્રસ્ટર્સ છે જે ચંદ્રની સપાટી પર ઉતરવામાં સક્ષમ બનાવશે. સાથે જ અન્ય સેન્સરનું પણ પરીક્ષણ કરવામાં આવશે.
ઈસરોના વડા સોમનાથે જણાવ્યું હતું કે લેન્ડિંગની પ્રક્રિયાની શરૂઆતમાં વેગ લગભગ ૧.૬૮ કિમી પ્રતિ સેકન્ડ છે પરંતુ આ ગતિ ચંદ્રની સપાટીની ક્ષિતિજની છે. અહીં ચંદ્રયાન-૩ લગભગ ૯૦ ડિગ્રી વળેલું છે. ક્ષૈતિજથી ઉર્ધ્વાધર દિશામાં બદલવાની સમગ્ર પ્રક્રિયા ગણિતની દ્રષ્ટીએ ઘણી જ રસપ્રદ ગણના છે. અમે ઘણી વખત આ પ્રક્રિયાનું પુનરાવર્તન કર્યું છે. ચંદ્રયાન-૨માં અહીં જ મોટી સમસ્યા નડી હતી.
ઉલ્લેખનીય છે કે ૧૪ જુલાઈના રોજ લોન્ચ થયા પછી ઈસરો (ૈંજીઇર્ં)એ ચંદ્રયાન-૩ને તબક્કાવાર રીતે ચંદ્રની પાંચથી વધુ ભ્રમણકક્ષામાં સ્થાપિત કર્યું છે. ૧ ઓગસ્ટના રોજ એક મહત્વપૂર્ણ પ્રક્રિયામાં યાનને પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી ચંદ્ર તરફ સફળતાપૂર્વક મોકલવામાં આવ્યું હતું. ચંદ્રયાન-૩ એ ચંદ્રયાન-૨ (૨૦૧૯) માટેનું એક આગળનું મિશન છે જે ચંદ્રની સપાટી પર સુરક્ષિત રીતે ઉતરાણ કરવાની અને આસપાસ જવાની એન્ડ-ટુ-એન્ડ ક્ષમતાનું પ્રદર્શન કરે છે. ઈન્ટર-પ્લેનેટરી મિશન માટે જરૂરી નવી ટેક્નોલોજી વિકસાવવા અને તેને પ્રદર્શિત કરવાના ઉદ્દેશ્ય સાથે તેમાં સ્વદેશી પ્રોપલ્શન મોડ્યુલ, લેન્ડર મોડ્યુલ અને રોવરનો સમાવેશ થાય છે. ચંદ્રયાન-૩ મિશનનો ઉદ્દેશ્ય ચંદ્રની સપાટી પર સુરક્ષિત અને સોફ્ટ લેન્ડિંગ કરવાનો, ચંદ્ર પર રોવર ચાલવાનો અને ચંદ્રની સપાટી પર વૈજ્ઞાનિક પ્રયોગો કરવાનો છે.