RBI MPC
RBI CRR Cut: RBI ના કેશ રિઝર્વ રેશિયોમાં 50 બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો કરવાથી બેન્કિંગ સિસ્ટમમાં રૂ. 1.16 લાખ કરોડની વધારાની રોકડ આવશે, જે બેન્કોને વધુ લોનનું વિતરણ કરવામાં સક્ષમ બનાવશે.
RBI MPC Meeting: દેશની આર્થિક વૃદ્ધિ ધીમી પડ્યા બાદ RBIએ મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં મોટો નિર્ણય લીધો છે. RBIએ કેશ રિઝર્વ રેશિયો (CRR) 4.50 ટકાથી ઘટાડીને 4 ટકા કર્યો છે. આ નિર્ણય બેન્કિંગ સિસ્ટમમાં તરલતા વધારવામાં મદદ કરશે જેથી બેન્કો વૃદ્ધિને વેગ આપવા માટે વધુને વધુ લોનનું વિતરણ કરી શકશે. આરબીઆઈના આ નિર્ણયથી 1.16 લાખ કરોડ રૂપિયાની રોકડ વધારવામાં મદદ મળશે. જોકે આરબીઆઈએ મોંઘી ઈએમઆઈમાંથી રાહત આપી નથી. સેન્ટ્રલ બેંકે તેના પોલિસી રેટ એટલે કે રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. રેપો રેટ 6.50 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે. ફેબ્રુઆરી 2023 થી રેપો રેટમાં કોઈ ફેરફાર થયો નથી.
RBIએ CRR ઘટાડ્યો
RBI ગવર્નર શક્તિકાંત દાસે કેશ રિઝર્વ રેશિયોમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. CRR 4.50 ટકાથી ઘટાડીને 4 ટકા કરવામાં આવ્યો છે. કેશ રિઝર્વ રેશિયોમાં ઘટાડો બે તબક્કામાં લાગુ કરવામાં આવશે. તેનાથી બેંકિંગ સિસ્ટમમાં 1.16 લાખ કરોડ રૂપિયાની વધારાની રોકડ આવશે.
મોંઘવારી પર અંકુશની સાથે વૃદ્ધિ પણ જરૂરી છે
આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટીની ત્રણ દિવસીય બેઠક 4 ડિસેમ્બરે શરૂ થઈ હતી અને આ બેઠકમાં લેવાયેલા નિર્ણયોની આજે જાહેરાત કરવામાં આવી છે. આરબીઆઈ ગવર્નરે કહ્યું કે, અમારો ઉદ્દેશ્ય ફુગાવાને અંકુશમાં રાખવાનો અને વૃદ્ધિને જાળવી રાખીને કિંમતોને સ્થિર રાખવાનો છે. આરબીઆઈ ગવર્નરે કહ્યું, કિંમતોને સ્થિર રાખવી સૌથી મહત્વપૂર્ણ છે પરંતુ તેની સાથે જ વૃદ્ધિ જાળવી રાખવી પણ મહત્વપૂર્ણ છે અને આ RBI એક્ટમાં પણ કહેવામાં આવ્યું છે.
શહેરો અને વિસ્તારોમાં માંગ ઘટી રહી છે
જીડીપી ગ્રોથ રેટમાં ઘટાડા અંગે આરબીઆઈ ગવર્નરે કહ્યું કે, આર્થિક વિકાસ દરમાં ઘટાડાનું કારણ ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં ઔદ્યોગિક વૃદ્ધિ 7.2 ટકા હતી, જે બીજા ક્વાર્ટરમાં ઘટીને 2.1 ટકા થઈ ગઈ છે. તેમણે કહ્યું કે, મેન્યુફેક્ચરિંગ ગ્રોથ રેટ ઘટ્યો છે. RBI ગવર્નરે કહ્યું કે, ગ્રામીણ વિસ્તારોમાં માંગ વધી છે પરંતુ શહેરી વિસ્તારોમાં માંગ ધીમી પડી રહી છે.
આરબીઆઈએ જીડીપી અંદાજ ઘટાડ્યો
આરબીઆઈએ તેના વિકાસ દરના અંદાજમાં ઘટાડો કર્યો છે. નાણાકીય વર્ષ 2024-25માં, આરબીઆઈએ જીડીપી વૃદ્ધિ દર 6.6 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે, જે અગાઉ 7.2 ટકા હતો. આરબીઆઈએ ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટર માટે જીપીપી વૃદ્ધિ દર 6.6 ટકા અને ચોથા ક્વાર્ટરમાં 6.8 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે.