સુરતમાં હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. શહેરના અડાજણમાં આવેલા પાલનપુર પાટિયા વિસ્તારમાં સિદ્ધેશ્વરી એપાર્ટમેન્ટમાં પરિવારની સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. જેમાં પતિ, પત્ની, માતા, પિતા, બે બાળક અને એક બાળકી સહિત પરિવારના ૭ લોકોએ આપઘાત કર્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર, પરિવારના ૬ લોકોએ ઝેરી દવા ગટગટાવી અને એક વ્યક્તિએ ગળેફાંસો ખાધો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બનાવના પગલે પોલીસ અધિકારીઓ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.
હાલ પોલીસ દ્વારા મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સાથે પોલીસકર્મીઓ દ્વારા આસપાસમાં રહેતા લોકોની અને પરિવારજનો પૂછપરછ કરવામાં આવી રહી છે. જાેકે, આર્થિક સંકડામણમાં સામૂહિક આત્મહત્યા કર્યાનું પ્રાથમિક તારણ છે. જાેકે ઘરના વડીલે ઘરના સભ્યોને દવા પિવડાવી અને પોતે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર પાલનપુર પાટિયા પાસે નૂતન રો-હાઉસ ની સામેના સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં એક જ પરિવારના સાત લોકોએ સામુહિક આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.
ફાંસો ખાધેલી હાલતમાં ઘરમાંથી મળી આવેલા મનીષ સોલંકી ફર્નિચરનું કામ કરતો હોવાનું સામે આવ્યું છે. જ્યારે ૩ પુત્ર, પત્ની અને વૃદ્ધ માતા-પિતા એ કોઈ પ્રવાહી પીવાના લીધે મૃત્યુ પામ્યા હોવાની વિગતો સપાટી પર આવી છે. મનીષ સોલંકી ઉર્ફે શાંતુ ઈન્ટિરીયર ડિઝાઈનરની અનેક સાઈટ પર કામ કરતા હોવાની વિગતો જાણવા મળી છે. ઘરના મોભી શાંતુભાઈએ પરિવારના સભ્યોને ઝેરી પ્રવાહી પીવડાવી ફાંસો ખાઈ લીધો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મૃતકોમાં ત્રણ બાળકો છે જે તમામની ઉંમર ૮ વર્ષથી ઓછી હોવાનું જાણવા મળ્યું છે. શાંતુભાઈ મૂળ સુરેન્દ્રનગરના રહેવાસી હતા. આ પરિવારે સામુહિક આપઘાત કરી લેતાં સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ જાેવા મળ્યો છે.
પોલીસ તપાસમાં સ્યુસાઈડ નોટ મળી આવી છે. પરિવારે સ્યુસાઈડ નોટ લખ્યા બાદ અંતિમ પગલું ભર્યું છે. પરિવારે આર્થિક સંકડામણથી ત્રાસી આપઘાત કર્યો હોવાની વિગતો સપાટી પર આવી છે. ઘરના મોભીએ કોઈને રૂપિયા આપ્યા હતા તે પરત નહી આવતાં આર્થિક ભીંસમાં આવી આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. મનીષ સોલંકીએ સ્યુસાઈડ નોટમાં લખ્યું હતું કે, મારે પૈસાની કોઈ તકલીફ નથી પણ જેની પાસે લેવાના છે એ ઉઘરાણી આવતી નથી. ઘરના મોભી શાંતુએ પરિવારના ૬ સભ્યોને ઝેર આપ્યા બાદ ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું છે. મૃતકોના નામઃ મનીષ સોલંકી, રેશમા બેન (પત્ની), કાવ્યા, ત્રિશા, કૃષાલ, કનુભાઈ(પિતા), શોભાબેન (માતા).