કેનેડાએ ખાલિસ્તાની ત્રાસવાદીની હત્યાના મુદ્દે ભારત પર આરોપો મુક્યા પછી ભારત અને કેનેડાના સંબંધોમાં તણાવ પેદા થયો છે. પરંતુ હવે ફરીથી સંબંધો સુધારા પર આવશે કે કેમ તેત સવાલ છે. ભારતના વિદેશમંત્રી એસ જયશંકરે તાજેતરમાં કેનેડાના વિદેશમંત્રી મેલેઈન જાેલી સાથે વોશિંગ્ટનમાં એક ગુપ્ત મુલાકાત યોજી હતી. આ મુલાકાત અમેરિકાના કહેવાથી યોજવામાં આવી હોવાનું કહેવાય છે, પરંતુ હજુ સુધી કંઈ સ્પષ્ટ નથી. કેનેડાએ કેટલાક મિડલ ઈસ્ટના દેશો સાથે પણ વાત કરી છે અને ભારત પર પ્રેશર લાવવા માટે પ્રયાસ કર્યો છે.
મેલેઈન જાેલીએ જણાવ્યું છે કે હરદીપ સિંહ નિજ્જરની હત્યાના મામલે તેઓ ભારત સાથે પ્રાઈવેટ રીતે વાતચીત કરી રહ્યા છે. સપ્ટેમ્બર મહિનામાં જયશંકર અને જાેલી વચ્ચે વાતચીત થઈ હતી તેવું ફાઈનાન્શિયલ ટાઈમ્સના એક અહેવાલમાં જણાવાયું હતું. નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોનો હાથ હતો તેવો આક્ષેપ કરવામાં આવ્યા પછી અમેરિકાનું કહેવું છે કે ભારતે કેનેડાને આ કેસની તપાસમાં સહયોગ આપવો જાેઈએ. આ દરમિયાન ભારતે કેનેડાને ભારતમાં પોતના ડિપ્લોમેટની સંખ્યામાં ઘટાડો કરવા કહ્યું હતું. કેનેડાએ ભારતમાં લગભગ ૬૨ ડિપ્લોમેટ ગોઠવ્યા હતા અને ભારતે તેની સંખ્યા ઘટીને ૨૦થી ૨૨ રાખવા કહ્યું છે.
કેનેડાએ તાજેતરમાં પોતાના કેટલાક ડિપ્લોમેટને સિંગાપોર અને મલેશિયા જેવા દેશોમાં મોકલ્યા છે, પરંતુ ડિપ્લોમેટની સંખ્યા ઘટાડવાનું કામ હજુ પૂર્ણ નથી થયું. ભારતે ૧૦ ઓક્ટોબર સુધીમાં કેનેડાને પોતાના વધારાના ડિપ્લોમેટ હટાવવા કહ્યું હતું. જાેકે, હજુ પણ ભારતમાં કેનેડાના ડિપ્લોમેટની સંખ્યા વધારે હોવાની શક્યતા છે.
આ દરમિયાન કેનેડાએ ભારતનો મુદ્દો અમેરિકા ઉપરાંત યુએઈ અને જાેર્ડન સમક્ષ પણ ઉઠાવ્યો છે. હાલમાં મિડલ ઈસ્ટના દેશો હમાસ અને ઇઝરાયલના યુદ્ધ મામલે વ્યસ્ત છે ત્યારે કેનેડાએ ભારત પર દબાણ વધારવા માટે આ મામલે જાેર્ડન અને યુએઈ સાથે વાત કરી છે. ભારતમાં ડિપ્લોમેટની મોટી સંખ્યા રાખવા માટે પણ એવું કારણ અપાય છે કે કેનેડામાં ૧૩ લાખ ભારતીયો વસે છે તેથી તેમના વિઝાને પ્રોસેસ કરવા વધારે સ્ટાફની જરૂર છે.
ભારતમાં કેનેડાએ કેટલા ડિપ્લોમેટ રાખવા જાેઈએ તે વિશે બંને દેશ વચ્ચે મતભેદ ચાલે છે. ભારતની દલીલ છે કે વિયેના એગ્રીમેન્ટ પ્રમાણે દેશોએ એકબીજાને ત્યાં ડિપ્લોમેટની સંખ્યા એક સરખી રાખવી જાેઈએ. તેથી ભારતે કેનેડામાં જેટલા ડિપ્લોમેટને ગોઠવ્યા છે તેટલા જ અધિકારીઓ કેનેડાએ પણ ભારતમાં ગોઠવવા જાેઈએ. પરંતુ કેનેડા આ વાત સાથે સહમત નથી.
