રાજ્યમાં વરસાદનો બીજાે રાઉન્ડ બરાબર જામ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં મેહુલિયો જાણી મનમૂકીને વરસી રહ્યો છે. આ સાથે હવામાન વિભાગ તરફથી આગામી ૩ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદની આગાહી છે. પરંતુ આણંદ અને ભરૂચમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, દાહોદમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે.
પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૪૫ તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ પાટણના સાંતલપુરમાં સાડા છ ઈંચ વરસાદ ખાબક્યો છે. રાજકોટના કોટડાસાંગાણીમાં છ ઈંચ અને ગાંધીનગરના માણસમાં છ ઈંચ વરસાદ પડ્યો છે. ૧૩ તાલુકામાં દોઢ ઈંચથી વધુ અને ૩૦ તાલુકામાં એક ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.