દુનિયાના મોટા મોટા દેશો ભલે ચંદ્રની સપાટી ઉપર પગ મુકવાના કે માણસોને ઉતારવાના દાવા અને અભિયાનો કરી ચૂક્યા હોય પણ ભારત આ વખતે અદ્વિતિય ઈતિહાસ રચવાની તૈયારીમાં છે. ઈસરો દ્વારા તૈયાર કરવામાં આવેલું ચંદ્રયાન-૩ આજે સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રીહરિકોટાથી લોન્ચ થશે અને ૪૧ દિવસ બાદ ચંદ્રની ધરતી ઉપર લેન્ડ થશે. તેની આ ઐતિહાસિક સફર બાદ ચંદ્ર ઉપર થતાં સંશોધનમાં એક એવા અધ્યાયની શરૂઆત થશે જે ભારત માટે અને સાથે સાથે સમગ્ર વિશ્વ માટે આશાનું નવું કિરણ લઈને આવશે. અમેરિકા અને તેની સ્પેસ એજન્સી નાસા પણ આ મિશન તરફ મીટમાંડીને બેઠા છે.
ભારત દ્વારા વર્ષ ૨૦૧૯માં ચંદ્રયાન-૨ મિશન લોન્ચ કરવામાં આવ્યું હતું અને અણીના સમયે યાન લેન્ડ થઈ શક્યું નહોતું અને અભિયાન ત્યાં જ અટકી ગયું હતું. ભારતે આ અભિયાનનું પૂનરાવર્તન કરતા ચંદ્રયાન-૩ની જાહેરાત ત્યારે જ કરી દીધી હતી અને હવે તેને સિદ્ધ કરી બતાવવાનો સમય આવી ગયો છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર ભારત દ્વારા રોવર ઉતારવાનો પ્રયાસ કરવામાં આવશે. એક વખત ભારતનું રોવર ચંદ્રની આ સપાટી ઉપર ઉતરી ગયું તો તે ભવિષ્યના દરેક આયોજનો અને સ્પેસ મિશન માટે દિવાદાંડી સમાન બની રહેશે. ચંદ્રની સપાટીની સ્થિતિ, જમીનની સ્થિતિ, માણસો માટે આ જમીન રહેવા માટે યોગ્ય રહેશે કે નહીં, માણસો સાથેનું મિશન હાથ ધરી શકાશે. તો કેટલું સફળ રહેશે તે તમામ બાબતોનો અભ્યાસ, એનાલિસિસ અને કામગીરી ભારતના રોવર દ્વારા કરવામાં આવશે. વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર ભારતના નામે વિક્રમી સિદ્ધી હાંસલ કરી લેશે. ભારતની સ્પેસ યાત્રાને અને ચંદ્રના સંશોધનને નવી દિશા આપનારા ચંદ્રયાન-૩ વિશે જાણીએ.
ચંદ્રયાન-૩ મિશન ભારતના મૂન મિશનનો મહત્ત્વના તબક્કો અને ભાગ છે.
૨૦૦૮માં ભારત દ્વારા શરૂ કરવામાં આવેલા મૂન મિશનનો ત્રીજાે તબક્કો છે. પહેલાં બે તબક્કામાં થયેલી ભુલો અને નડેલી મુશ્કેલીઓને સુધારીને આ વખતે ઈસરો દ્વારા ચંદ્રની ધરતી ઉપર રોવર લેન્ડર ઉતારવાની તમામ તૈયારીઓ કરી લેવાઈ છે. ૨૨ જુલાઈ ૨૦૧૯ના રોજ ચંદ્રયાન-૨ ચંદ્રની સપાટી ઉપર મોકલવામાં આવ્યું હતું તે ૪૮ દિવસ બાદ ૬ સપ્ટેમ્બર ૨૦૧૯ના રોજ ચંદ્રની સપાટી ઉપર લેન્ડ થવાનું હતું. લેન્ડિંગની ગણતરીની મિનિટો પહેલાં તેનો સંપર્ક તૂટી ગયો અને તે ક્રેશ થઈ ગયું હતું. તે વખતું અધુરું રહી ગયેલું સ્વપ્ન અને અભિયાન ચંદ્રયાન-૩ દ્વારા સાકાર કરવામાં આવશે. ચંદ્રની સપાટી ઉપર ભારતનું રોવર લેન્ડર સોફ્ટ લેન્ડિંગ કરશે. આ સાથે જ ભારત આ સિદ્ધિ હાંસલ કરનારો દુનિયાનો ચોથો દેશ બની જશે.
ચંદ્રયાન-૩ મિશન માત્ર ભારત માટે જ નહીં પણ દુનિયાના બાકીના દેશો માટે પણ ખૂબ જ મહત્ત્વનું છે. ભારતના આ મિશન થકી દુનિયાના આગામી મૂન મિશનને ખૂબ જ મોટો ફાયદો થવાનો છે. તેમાંય અમેરિકા દ્વારા માણસોને ચંદ્ર ઉપર મોકલવાની જે તૈયારીઓ ચાલી રહી છે તેને પગલે અમેરિકાને ભારતની સફળતાની સૌથી વધારે આશા છે. ભારતની આ હનુમાન છલાંગ ચંદ્રની સપાટીના અભ્યાસ અને ચંદ્રના વાતાવરણના અભ્યાસ માટે હોકાયંત્ર સમાન બની રહેશે. દક્ષિણ ધ્રુવની સપાટીની રચના, તેની સ્થિતિ, તેમાં રહેલા ખનીજાે, પાણીની સ્થિતિ, ઓક્સિજન, હાઈડ્રોજન, હિલિયમ વગેરેની ઉપલબ્ધતા વગેરે પણ આ મિશન થકી જાણી શકાશે.