Stock Market
બજારમાં સતત વેચવાલીને કારણે ભારતના શેરબજારનું વેલ્યુએશન ઓછામાં ઓછા ૩૦ મહિનામાં સૌથી નીચા સ્તરે આવી ગયું છે. હાલમાં બેન્ચમાર્ક સેન્સેક્સ ૨૧.૯ ગણા ભાવથી અર્નિંગ મલ્ટિપલ (પીઈ) પર ટ્રેડ કરી રહ્યો છે જે જૂન ૨૦૨૨ પછી સૌથી નીચો છે. જૂન ૨૦૨૨ સુધીના સમયગાળાને બાદ કરતાં, સેન્સેક્સનું વર્તમાન મૂલ્ય જૂન ૨૦૨૦ પછી સૌથી નીચું છે.
ડેટા દર્શાવે છે કે સેન્સેક્સનું વર્તમાન મૂલ્યાંકન ભૂતકાળમાં તેના સામાન્ય મૂલ્યાંકન કરતાં ઘણું ઓછું છે. છેલ્લાં ૮ વર્ષમાં માત્ર બે જ પ્રસંગો એવા બન્યા છે જ્યારે ઇન્ડેક્સનું ઓછું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. કોરોના મહામારી દરમિયાન માર્ચ-જૂન ૨૦૨૦ના સમયગાળા દરમિયાન અને જૂન ૨૦૨૨માં કોરોનાના અંત પછી બજારમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો.
તેની સરખામણીમાં જાન્યુઆરી ૨૦૨૪માં ઈન્ડેક્સ ૨૪.૬ ગણા પીઈ અને સપ્ટેમ્બર ૨૦૨૪માં ૨૪.૭૫ ગણા પીઈ પર ટ્રેડ થઈ રહ્યો હતો. હાલમાં ઇન્ડેક્સ ૨૪.૧ ગણા ૧૦-વર્ષના સરેરાશ મૂલ્યાંકન કરતાં લગભગ ૯.૨ ટકા નીચો ટ્રેડ થઈ રહ્યો છે. ઈન્ડેક્સના વેલ્યુએશનમાં સતત ઘટાડાનો અર્થ એ છે કે શેરની કિંમત શેર દીઠ અંતર્ગત કમાણીમાં વૃદ્ધિ સાથે ગતિ જાળવી રહી નથી. તાજેતરના વર્ષોમાં સારી કમાણી વૃદ્ધિ હોવા છતાં ઇન્ડેક્સ વેલ્યુએશન રેશિયોમાં સતત ઘટાડો સૂચવે છે કે રોકાણકારો આગળ જતા કમાણીના અંદાજ અંગે ચિંતિત છે. મોટા રોકાણકારો, ખાસ કરીને વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોને ડર છે કે શેર દીઠ કમાણી વર્તમાન સ્તરોથી વધુ ઘટી શકે છે. આ જ કારણ છે કે તેઓ બજારમાં વેચી રહ્યાં છે.
ચાલુ નાણાકીય વર્ષમાં નિફ્ટી ૫૦ ની શેરદીઠ કમાણી વાર્ષિક ધોરણે માત્ર ૪ ટકા વધી છે, જે નાણાકીય વર્ષની શરૂઆતમાં અંદાજિત ૧૮ ટકા વૃદ્ધિ કરતાં ઘણી ઓછી છે.
જાન્યુઆરીમાં વિદેશી રોકાણકારોની ઈક્વિટીમાં આક્રમક વેચવાલી ચાલુ
૨૦૨૫ના પ્રથમ મહિનામાં પણ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ)ની ભારતીય ઈક્વિટીસમાં આક્રમક વેચવાલી ચાલુ રહી છે. વર્તમાન મહિનાના મોટાભાગના ટ્રેડિગ દિવસોમાં વિદેશી રોકાણકારો ઈક્વિટી કેશમાં નેટ વેચવાલ રહ્યા છે. ૨૪ જાન્યુઆરી સુધીમાં એફઆઈઆઈએ કુલ રૂપિયા ૬૯૦૮૦.૧૪ કરોડની નેટ વેચવાલી કરી છે. જ્યારે ઘરેલું સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ)ની કેશમાં રૂપિયા ૬૬૯૪૪.૫૦ કરોડની નેટ ખરીદી રહી છે.
ડોલરમાં મજબૂતાઈને કારણે વિદેશી રોકાણકારો સતત વેચાણ કરી રહ્યાનું બજારના વર્તુળો માની રહ્યા છે.
ડોલર ઈન્ડેકસમાં મજબૂતાઈ તથા યુએસ બોન્ડ યીલ્ડ ૪.૫૦ ટકાથી ઉપર રહેતા એફઆઈઆઈની વેચવાલી જળવાઈ રહી છે. ભારતીય ઈક્વિટીસમાં વિદેશી રોકાણકારો નાણાંકીય ક્ષેત્રમાં નોંધપાત્ર રોકાણ ધરાવે છે.