RBI MPC meeting : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠક બુધવાર (3 એપ્રિલ)થી શરૂ થવા જઈ રહી છે. આ બેઠક બે દિવસ સુધી ચાલશે અને તેનો નિર્ણય આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ 5 એપ્રિલે જાહેર કરશે. નવા નાણાકીય વર્ષ 2024-25ની આ પ્રથમ નાણાકીય નીતિ હશે.
RBI MPC દર બે મહિનાના અંતરાલ પર મળે છે. આ બેઠકમાં જીડીપી ગ્રોથ અને ફુગાવાના આંકડાઓના આધારે નિર્ણય લેવામાં આવે છે. RBI MPC છ સભ્યો ધરાવે છે. આમાં, વ્યાજ દરો અને અન્ય નાણાકીય જરૂરિયાતોને લગતા નિર્ણયો બહુમતીના આધારે લેવામાં આવે છે.
વ્યાજદર ઘટશે?
મોટાભાગના બજાર વિશ્લેષકો અને અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે 3 એપ્રિલથી 5 એપ્રિલ દરમિયાન યોજાનારી MPCની બેઠકમાં RBI વ્યાજ દરો યથાવત રાખી શકે છે. તેનું કારણ ક્રૂડ ઓઈલનું ઊંચું સ્તર અને વૈશ્વિક આર્થિક પડકારો છે.
જિયોજીત ફાઇનાન્શિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વીકે વિજયકુમારે જણાવ્યું હતું કે, MPC 5 એપ્રિલે વ્યાજ દરોમાં ઘટાડો કરે તેવી શક્યતા નથી. હાલમાં ભારતીય અર્થવ્યવસ્થા મજબૂત બની છે અને જીડીપી 7.6 ટકાના દરે વધી રહી છે. આ પ્રારંભિક અંદાજ કરતાં વધુ છે.