વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું શનિવારે અબુ ધાબીના કસર અલ વતન ખાતે રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પછી વડા પ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ મોહમ્મદ વચ્ચે વાતચીત થઈ અને ઘણા મહત્વપૂર્ણ કરાર પણ થયા.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે હું અબુ ધાબી આવીને તમને મળીને ખુશ છું. હું તમે આપેલા ઉષ્માભર્યા સ્વાગત માટે અને તમે મને બતાવેલ સન્માન માટે તમારો આભાર માનું છું. દરેક ભારતીય તમને સાચા મિત્ર તરીકે જુએ છે.
તેમણે કહ્યું કે અમે અમારી ભાગીદારીને મજબૂત કરવા માટે નવી પહેલ કરી રહ્યા છીએ. બંને દેશોની કરન્સીમાં વેપાર કરાર અંગેનો આજનો કરાર આપણા મજબૂત આર્થિક સહયોગ અને વિશ્વાસને દર્શાવે છે.
આઈઆઈટીદિલ્હી તેના અબુ ધાબી કેમ્પસમાં જાન્યુઆરી ૨૦૨૪ થી માસ્ટર્સ અને આવતા વર્ષે સપ્ટેમ્બરથી બેચલર્સ શરૂ કરશે. ભારતના શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે આઈઆઈટીદિલ્હીનું અબુ ધાબી કેમ્પસ પરસ્પર સમૃદ્ધિ અને વૈશ્વિક સારા માટે જ્ઞાનની શક્તિનો ઉપયોગ કરવા માટે એક બ્લુપ્રિન્ટ સેટ કરશે.
વડા પ્રધાન મોદીએ ૨૦૧૫ પછી ખાડી દેશની તેમની પાંચમી મુલાકાત દરમિયાન યુએઈના પ્રમુખ અને અબુ ધાબીના શાસક શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે વાતચીત કરી હતી. તે અગાઉ ૨૦૧૫, ૨૦૧૮, ૨૦૧૯ અને ૨૦૨૨માં આરબ દેશની મુલાકાતે ગયા હતા.
નોંધનીય છે કે ભારતીય વડાપ્રધાન ફ્રાન્સની બે દિવસીય મુલાકાત બાદ યુએઈપહોંચી ગયા છે. યુએઈની મુલાકાતે જતા પહેલા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે તેઓ તેમના મિત્ર શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનને મળવા માટે ઉત્સુક છે. તેમણે કહ્યું હતું કે બંને દેશો વેપાર, રોકાણ, ઊર્જા, ખાદ્ય સુરક્ષા, વિજ્ઞાન અને ટેક્નોલોજી, શિક્ષણ, ફિનટેક, સંરક્ષણ, સુરક્ષા અને મજબૂત લોકો-થી-લોકો સંબંધો જેવા વિશાળ ક્ષેત્રોમાં સક્રિય છે.