સુરક્ષા દળોએ પૂંછના સિંધરા વિસ્તારમાં સંયુક્ત ઓપરેશનમાં ચાર આતંકવાદીઓને ઠાર કર્યા છે. સુરક્ષા દળો વચ્ચે પહેલી અથડામણ ગઈકાલે રાત્રે લગભગ ૧૧ઃ૩૦ વાગ્યે થઈ હતી ત્યારબાદ રાત્રિમાં દેખરેખના સાધનો સાથે ડ્રોન તૈનાત કરવામાં આવ્યા હતા. સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ભારે ગોળીબાર સાથે આજે વહેલી સવારે સંયુક્ત ઓપરેશન ફરી શરુ થયું હતું. જે ઓપરેશનમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે.
ભારતીય સેનાના વિશેષ દળો, રાષ્ટ્રીય રાઇફલ્સ અને જમ્મુ અને કાશ્મીર પોલીસના જવાનો અન્ય દળો સાથે ઓપરેશનનો ભાગ હતા. ઓપરેશનમાં માર્યા ગયેલા આતંકવાદીઓ મોટાભાગે વિદેશી આતંકવાદીઓ હોવાની શક્યતા છે અને તેમની ઓળખની ખાતરી કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એલઓસીપારથી, આઈએસઆઈઅને આતંકવાદી સંગઠનોના નેતાઓએ સ્વતંત્રતા દિવસ અને રક્ષાબંધનની આસપાસ મોટી આતંકવાદી ઘટનાઓને અંજામ આપવા માટે આતંકવાદીઓને ઘૂસણખોરી કરવા અને આ તરફ પહોંચવાની સૂચના આપી છે. ૨૫ જૂનના રોજ ચકન દા બાગમાં પણ સુરક્ષા દળોએ આતંકી ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવીને ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ અથડામણમાં સેનાનો એક જવાન પણ ઘાયલ થયો હતો.
