દેશના સ્વતંત્રતાના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસર ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો ૧૨ માર્ચથી અમદાવાદના સાબરમતી આશ્રમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રારંભ કરાવશે. આ ઉજવણીના આરંભ પ્રસંગે દેશભરમાં અને ગુજરાતમાં પણ ૭૫ સ્થળોએ રાષ્ટ્રપ્રેમ-જનચેતના સભર વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૃપાણીએ ગુજરાતથી આ ઉજવણીના પ્રારંભના ઐતિહાસિક અવસરને રાષ્ટ્રચેતના સભર ઉત્સવ બનાવવાના આયોજનને ઓપ આપવા રાજ્યકક્ષાની સમિતિની પ્રથમ બેઠક ગાંધીનગરમાં યોજી હતી.
મુખ્યમંત્રી રૃપાણીએ જણાવ્યું હતું કે, ‘રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમથી ૧૨ માર્ચે ૧૯૩૦ના યોજેલી દાંડીયાત્રાની સ્મૃતિને વર્તમાન સમયમાં ઉજાગર કરતાં ૮૧ પદયાત્રીઓની સાબરમતી આશ્રમથી દાંડી સુધીની ૩૮૬ કિલોમીટર દાંડીયાત્રાથી આ ઉજવણીનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રારંભ કરાવવાના છે. ગુજરાતમાં મહાત્મા ગાંધી અને સ્વતંત્રતા સંગ્રામ સાથે જોડાયેલા સ્થળો પૈકી બારડોલી, દાંડી, પોરબંદર, રાજકોટ, વડોદરા, માંડવીમાં મોટા કાર્યક્રમો તથા જિલ્લામથકો સહિત અન્ય સ્થળોએ મળી ૭૫ કાર્યક્રમો એક સાથે યોજાશે. આ બધા જ સ્થળોએ વડાપ્રધાનની ઉપસ્થિતિમાં યોજોનારા સાબરમતી આશ્રમના કાર્યક્રમનું વર્ચ્યુઅલ પ્રસારણ કરવામાં આવશે. આઝાદી માટે શહીદી વહોરનારા દેશપ્રેમીઓનો મંત્ર ડાઇ ફોર ધ નેશન હતો, હવે આપણે લીવ ફોર ધ નેશનના ધ્યેય સાથે વર્તમાન અને ભાવિ પેઢીમાં રાષ્ટ્રપ્રેમ ભાવના બળવત્તર બનાવવાની છે. આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણીમાં આ ધ્યેયને મહત્વ આપવામાં આવશે.
આ ઉજવણીને ત્રણ મુખ્ય વિષયવસ્તુ સાથે ઉત્સવ મનાવવાની થીમને અનુરૃપ ગુજરાતમાં બહુઆયામી આયોજનો થશે. આ ઉપરાંત ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામથી માંડીને આઝાદી મેળવવા સુધીના સંગ્રામની ગાથા નવી પેઢી સમક્ષ ઉજાગર કરાશે. ‘ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદિપસિંહ જાડેજા, ઈશ્વરસિંહ પટેલ તેમજકાર્તિકેય સારાભાઇ સહિતના સમિતિના અગ્રગણ્ય સભ્યો , રાષ્ટ્રીય શાળા રાજકોટના ટ્રસ્ટીઓ ,યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરો, વરિષ્ઠ સચિવો જોડાયા હતા. આ સમગ્ર ઉજવણીમાં ૧૨ માર્ચથી ૫ એપ્રિલ દરમિયાન યોજાનારી દાંડીયાત્રાના માર્ગમાં આવતા સ્થળો પૈકી ૨૧ જગ્યાએ રાત્રિ મુકામ આ પદયાત્રાના યાત્રિકો કરશે તેની વિગતો પણ આપવામાં આવી હતી. આ યાત્રાનું સમાપન ૫ એપ્રિલે દાંડી ખાતે એક ભવ્ય સમારોહ યોજીને કરવામાં આવશે.