રાજધાની દિલ્હીમાં ગત જાન્યુઆરી મહિનામાં ઈઝરાયલના દૂતાવાસ બહાર થયેલા વિસ્ફોટ મામલે મહત્વનો ખુલાસો થયો છે. આ બ્લાસ્ટમાં ઈરાનનો હાથ હોવાનું સામે આવ્યું છે. ભારત સાથેની દુશ્મનાવટના કારણે ઈરાને ખૂબ ચાલાકીપૂર્વક ભારતના લોકલ મોડ્યુઅલની મદદ લઈને આ વિસ્ફોટ કરાવ્યો હોવાની વિગતો સામે આવી છે. બોમ્બ વિસ્ફોટની તપાસમાં જોડાયેલા NIA અને ઈઝરાયલની ગુપ્તચર એજન્સી મોસાદને મળેલા પુરાવાના આધારે આ વાત સામે આવી છે.
વિસ્ફોટો બાદ તપાસ એજન્સીઓને એક પત્ર મળ્યો હતો જેમાં આ હુમલો બે ઈરાની નાગરિકોની હત્યાનો બદલો લેવા કરવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તપાસ એજન્સીઓએ અનેક એન્ગલથી આ કેસની તપાસ શરૂ કરી દીધી હતી. જેમાં ઈરાનની કુદ્સ ફોર્સે આ હુમલો કરાવ્યો હોવાનો ખુલાસો થયો હતો.
એક અહેવાલ પ્રમાણે બોમ્બ વિસ્ફોટ પાછળ ઈરાનની કુદ્સ ફોર્સનો હાથ હતો પરંતુ તે બોમ્બ એક સ્થાનિક ભારતીય શિયા મોડ્યુલે પ્લાન્ટ કર્યો હતો. એટલું જ નહીં, જાણી જોઈને એવા પુરાવા મુકવામાં આવ્યા હતા જેથી આ હુમલા પાછળ આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટનો હાથ હોવાની શંકા ઉભી થાય અને તપાસ બીજી તરફ ફંટાય. આ યોજના અંતર્ગત જ અજાણ્યા સંગઠન જૈશ ઉલ હિંદે આ હુમલાની જવાબદારી પણ સ્વીકારી હતી. જો કે, આતંકવાદ વિરોધી એજન્સીઓએ આ હુમલો ઈરાનની કુદ્સ ફોર્સે ઈઝરાયલ વિરૂદ્ધ કર્યો હોવાનું જાણી લીધું છે.
એક અધિકારીના કહેવા પ્રમાણે વિસ્ફોટ માટે વપરાયેલા બોમ્બની તીવ્રતા વધારે નહોતી. તેનું લક્ષ્ય લોકોને નુકસાન પહોંચાડવાનું પણ નહોતુ. કારણ કે ઈરાન કદાચ ભારત સાથેના સંબંધોમાં તણાવ ઉભો કરવા નહોતુ માંગતુ. પરંતુ સંદેશો સ્પષ્ટ હતો.
ઉલ્લેખનીય છે કે, 29 જાન્યુઆરીના રોજ દિલ્હીમાં ઈઝરાયલના દૂતાવાસ બહાર રિમોટ કંટ્રોલવાળા ડિવાઈસની મદદથી ઓછી તીવ્રતાનો વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં કોઈનું પણ મોત નિપજ્યુ નહોતુ.