શહેરના ગુલાબનગરમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને સ્થાનિકોએ કલેક્ટર કચેરી ખાતે ધારણા કર્યા અને નાળા પર બિલ્ડર દ્વારા કરવામાં આવેલ બાંધકામને દૂર કરવાની માંગ કરવામાં આવી.
બે દિવસ પહેલા જામનગર જિલ્લામાં ભારે વરસાદને લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા અને લોકોના મકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસ્યા હતા ત્યારે ગઈકાલે ગુલાબનગરના નારાયણનગર, મોહનનગર સહિતની ચાર સોસાયટીઓના સ્થાનિકોએ વરસાદી પાણી ભરાવાના મુદ્દે જાહેર રોડ પર ચકાજામ કર્યો હતો અને સ્થાનિકોના રોષને લઈ કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને લોકોની રજૂઆત સાંભળી હતી.
બાદમાં કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે મનપા ખાતે અધિકારીઓ સાથે બેઠક કરી નાળા પરના દબાણો તાત્કાલિક દૂર કરવાની કડક સુચના આપી હતી છતાં પણ બાંધકામો દૂર કરવામાં આવ્યા નથી.
આજરોજ ગુલાબનગરની ચાર સોસાયટીઓના સ્થાનિકોએ કલેક્ટર કચેરી ખાતે ઘરણાં કર્યા હતા અને માંગ કરી હતી કે આ સોસાયટીમાં આવેલ નાળા પર દિવાલ બનાવી બિલ્ડર દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હોય અને બિલ્ડર પોતાની જમીનમાં આવતું પાણી રોકવા માટે થઈને દીવાલ બનાવી હોય જે બાંધકામ તાત્કાલિક દૂર કરવામાં આવે અને આ બાંધકામને લીધે સોસાયટીઓમાં વરસાદી પાણી ફરી વળ્યા હોય તેવી રજૂઆત અધિક નિવાસી કલેક્ટરને કરવામાં આવી હતી.
