દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ગુરુવારના રોજ ૪૪મી એજીએમ થઈ, પરંતુ તેમાં કરવામાં આવેલી અનેક જાહેરાતો બજારને રાસ નથી આવી. ગુરુવારના રોજ રિલાયન્સના શેરમાં ૨.૩૫ ટકાનો ઘટાડો જાેવા મળ્યો હતો, જ્યારે શુક્રવારના રોજ ૨.૨૮ ટકા ઘટાડો થયો હતો.
આ ઘટાડાને કારણે એશિયા અને ભારતના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની નેટવર્થમાં બે દિવસમાં ૩.૮૧ અબજ ડોલર એટલે કે લગભગ ૨૮,૨૭૯ કરોડ રુપિયાનો ઘટાડો નોંધાયો હતો. ઉલ્લેખનીય છે કે બ્લૂમબર્ગ ઈન્ડેક્સ અનુસાર મુકેશ અંબાણી ૮૦ અબજ ડોલરની નેટવર્થ સાથે દુનિયાના ધનિકોની યાદીમાં ૧૨મા અને એશિયામાં પ્રથમ સ્થાને છે.
ઉલ્લેખનીય છે કે ૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૦ના રોજ રિલાયન્સના શેર ૨૩૬૯ રુપિયાના રેકોર્ડ સ્તર પર પહોંચ્યા હતા.
આ સાથે જ અંબાણીની નેટવર્થ ૯૦ અબજ ડોલર પહોંચી ગઈ હતી અને તે દુનિયાના ધનિકોની યાદીમાં ચોથા સ્થાન પર આવી ગયા હતા. ત્યારપછી કંપનીના શેર નીચે આવતાં નેટવર્થમાં પણ ઘટાડો થયો અને તે ટોપ ૧૦માંથી બહાર આવી ગયા. આ વર્ષે તેમની નેટવર્થમાં ૫.૧૬ અબજ ડોલરનો વધારો થયો છે.
શુક્રવારના રોજ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની નેટવર્થમાં પણ ૭૫.૪ કરોડ ડોલરનો ઘટાડો જાેવા મળ્યો છે. બ્લૂમબર્ગ ઈન્ડેક્સ અનુસાર, અદાણીની નેટવર્થ હવે ૬૩.૭ અબજ ડોલર થઈ ગઈ છે. એક સમયે તેમની નેટવર્થ ૭૭ અબજ ડોલર પહોંચી ગઈ હતી. પરંતુ ગયા અઠવાડિયે અદાણી ગ્રુપના શેરોમાં નુકસાન થવાને કારણે એશિયામાં તે ત્રીજા ક્રમાંકે પહોંચી ગયા. દુનિયાના ધનિકોની યાદીમાં તેઓ ૧૫માં સ્થાન પર છે.